શ્રીમહાપ્રભુજી વૈષ્ણવો માટે કરુણાસાગર કે કૃપાસાગર છે
- પ્રભુએ વેણુવાદન દ્વારા સર્વદૈવી જીવોને અધરામૃત આપ્યું હતું
ભારતમાં ત્રણ વૈષ્ણવ આચાર્યોને તેમના સેવકો ‘મહાપ્રભુજી’ ની સંજ્ઞાથી સંબોધે છે. જેમાં પુષ્ટિમાર્ગના આચાર્ય શ્રીવલ્લભાચાર્યજી અને તેમની પાંચમી પેઢીએ થયેલ શ્રીહરિરાયજી ને પુષ્ટિમાર્ગીય ‘શ્રીમહાપ્રભુજી’ ના નામે જાણે છે. તે જ પ્રમાણે ગૌડીય સંપ્રદાયમાં શ્રીકૃષ્ણ ચૈતન્યને તેમના સેવકો ‘શ્રીચૈતન્યમહાપ્રભુ’ તરીકે સંબોધે છે. સામાન્ય રીતે ભક્તોના મનમાં એક મીઠી મૂંઝવણ હોય છે. ભગવાનને બતાવનાર ગુરુ ભગવાનનું જ અવર સ્વરૂપ છે એવો ભક્તોને પોતાના ગુરુ સ્વરૂપમાં દૃઢ વિશ્વાસ હોય છે. તેથી જ્યારે ગુરુ અને ગોવિંદ બન્ને સાથે ભક્તની સામે પધારે ત્યારે ભક્તને મીઠી મૂંઝવણ થાય છે કે પહેલા પ્રણામ કોને કરવા ? ભક્તની ભક્તિનો પાયો દીનતા છે. તેથી ભક્તને શ્રદ્ધા છે કે શ્રીગુરુકૃપાથી જ મને ગોવિંદની પ્રાપ્તિ થઈ છે. શ્રીગુરુ વિના ગોવિંદની પ્રાપ્તિ સુલભ નથી. જ્યારે ગુરુમાં ગોવિંદ જ બિરાજે છે. તેથી ભક્ત સૌ પ્રથમ પોતાના ગુરુને પ્રણામ કરે છે અને પછી ગોવિંદને પ્રણામ કરે છે. આથી પુષ્ટિમાર્ગીય વૈષ્ણવોને મન શ્રીનાથજી અને શ્રીમહાપ્રભુજી એક જ સ્વરૂપ હોવા છતાં શ્રીનાથજીને આપનારા શ્રીમહાપ્રભુજીને આપણે પ્રથમ વંદન કરીએ છીએ. પ્રભુને આપનારા શ્રીવલ્લભ આપણા માટે પ્રભુથી પણ મોટા છે, વધુ કરુણાસાગર અને કૃપાસાગર છે અને તેથી આપણે તેમને શ્રીમહાપ્રભુજી કહીએ છીએ.
શ્રીમહાપ્રભુજીથી પાંચમી પેઢીએ શ્રીહરિરાયજીનું પ્રાગટ્ય થયું. શ્રીમહાપ્રભુજીનાં દ્વિતીય કુમાર શ્રીવિઠ્ઠલનાથજી(શ્રીગુંસાઈજી) થયા. તેમના દ્વિતીય કુમાર શ્રીગોવિંદરાયજીના પુત્ર શ્રીકલ્યાણરાયજી થયા. શ્રીકલ્યાણરાયજીના જ્યેષ્ઠ પુત્ર શ્રીહરિરાયજી થયા. ભાદરવા વદ પાંચમને શુભ દિવસે શ્રી હરિરાયજીનું પ્રાક્ટ્ય ગોકુલમાં થયું હતું. તેમના પ્રાગટ્યની પણ એક અદ્ભૂત વિલક્ષણતા છે. શ્રીકલ્યાણરાયજીને પુત્ર ના હોવાથી તેમને મૂંઝવણ હતી કે તેમના પછી તેમના સેવ્યસ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીની સેવા કોણ કરશે ? શ્રીકલ્યાણરાયજીએ પોતાનું આ અલૌકિક દુઃખ તેમના કાકા ચતુર્થ કુમાર શ્રીગોકુલનાથજી સમક્ષ પ્રગટ કર્યું. શ્રીગોકુલનાથજીએ પોતાના પિતૃચરણ શ્રીગુંસાઈજી પાસે શ્રીકલ્યાણરાયજી વિનંતી પહોંચાડી.
શ્રીગુંસાઈજી શ્રીસર્વોત્તમ સ્ત્રોતમાં આજ્ઞા કરે છે કે તેના પાઠથી કૃષ્ણાધરામૃતની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. જેમના નામ માત્રના કીર્તનથી કૃષ્ણાધરામૃત પ્રાપ્ત થાય, તે સાક્ષાત કૃપા કરીને પોતાનું અધરામૃત આપે છે ત્યારે એ અલૌકિક અધરામૃતથી ભગવદ્ ભોગ્યસુધાની પ્રાપ્તિ થાય. તેમાં કોઈ આશ્ચ્રર્ય નથી. સારસ્વત કલ્પમાં પણ પ્રભુએ પોતાના વેણુવાદન દ્વારા સર્વદૈવી જીવોને અધરામૃત આપ્યું હતું અને ભગવદ્ભોગ્ય સુધા પ્રાપ્ત કરાઈ હતી.
શ્રીકલ્યાણરાયજીને પ્રાપ્ત થયેલી આ ભાગવદ ભોગ્યસુધા શ્રીહરિરાયજી સ્વરૂપે પ્રગટ થઈ. શ્રીહરિરાયજીમાં શ્રીમહાપ્રભુજીનું સ્વરૂપજ પ્રગટ વિલસતું હતું. સાથે સાથે શ્રીગુંસાઈજીનાં દર્શન પણ તે સ્વરૂપમાં સૌને થતાં હતા. તેથી, વૈષ્ણવો શ્રીહરિરાયજીને ‘શ્રી હરિરાયપ્રભુચરણ’ અને ‘શ્રીહરિરાયમહાપ્રભુ’ એમ બન્ને નામે સ્મરે છે.
બાળપણથી જ શ્રીહરિરાયજીનું વ્યક્તિત્વ વિલક્ષણ હતું આચાર્યપદે બિરાજમાન હોવા છતાં તેમણે વૈષ્ણવતા વિશેષ રૂપે પ્રગટ કરી હતી તેથી બાલ્યાવસ્થાથી જ વૈષ્ણવોની મંડળી વચ્ચે સમાન આસને બિરાજી, વૈષ્ણવોની સાથે રાત-દિવસ સત્સંગ કરવો એ તેમનું વ્યસન બની ગયું હતું. તેમના પિતૃચરણે આચાર્યપદની ગરિમા જાળવવા શ્રીહરિરાયજીને આજ્ઞા કરી તો પણ તેમણે ભગવદ્વાર્તા વખતે તો વૈષ્ણવી ભાવ જ પ્રગટ રાખવાનો આગ્રહ સેવ્યો. પરિણામે પિતૃચરણની આજ્ઞાથી ત્રણ રાત-દિવસ એકાંતવાસ કર્યો. તે દરમિયાન શ્રીસર્વોત્તમ સ્તોત્રના વિરહતાપૂર્વક સતત જપ કર્યા. તેના ફળ સ્વરૂપે શ્રીમહાપ્રભુજી અને શ્રીગુંસાઈજીના સાક્ષાત્ દર્શન થયા. શ્રીહરિરાયજી ત્યારથી વૈષ્ણવો પ્રત્યે વૈષ્ણવી ભાવ વધારતાં જ રહ્યાં.
No comments:
Post a Comment