શૈયાજીની ભાવના
શૈયા મુખ્ય સ્વામિનીજી રૂપ છે. બન્ને બાજુના તકિયા ભક્તના હસ્ત રૂપ છે. શૈયાનું વસ્ત્ર ભક્તના હૃદય રૂપ છે. અથવા શૈયા ભક્તનું સ્વરૂપ પણ કહેવાય છે. ‘‘સકલ વ્રજમાં પોઢિયા, વહાલો કરે વિવિધ રસ સુખ દાનજી.’’ (શ્રી વલ્લભાખ્યાન) અને ચાર યૂથપતિના ભાવથી ચાર પાયા છે. ડાબી બાજુનો તકિયો શ્રીસ્વામિનીજીના ભાવથી છે. જમણી બાજુનો તકિયો શ્રી ચંદ્રાવલિજીના ભાવનો છે. શ્રીમસ્તકનો તકિયો શ્રીયમુનાજીના ભાવથી છે. તથા દુલીચા બધી સખીજનોના ભાવથી બિછાવવામાં આવે છે.
શૈયાની કસ પ્રબોધિનીથી રામનવમી સુધી બાંધવામાં આવે છે. તે એટલા માટે કે પ્રબોધિનીથી શીતકાલ શરૂ થાય છે. અને શીતકાલમાં વિરહ ભીતર હોય છે. તેથી કસ બાંધવાની જરૂર રહેતી નથી. કારણ કે અંગથી અંગ આપ મેળેજ ચીટકી રહે છે, અને ઉષ્ણકાલમાં વિરહ બહાર પ્રગટે છે. કારણ કે શૈયા ભક્ત રૂપ છે, તેથી વિરહ બહાર પ્રગટે છે, તેથી ભક્તો કસના મિષથી પ્રભુને ચારે બાજુથી ઘેરી લ્યે છે. તેથી શીતકાલ શ્રીઠાકુરજી તથા ભક્તો માટે પરમ સુખદાઈ છે.
શીતકાલમાં તેજાનાવાળી સામગ્રી પણ અધિક આરોગાવવામાં આવે છે. બધી સામગ્રી ભક્ત સ્વરૂપ છે. તેમાં એ ભાવ છે કે, અમારા ઉચ્છલિત ભાવરૂપ ગરમ સામગ્રી દ્વારા અમારો અંગીકાર કરો, એમ ભક્ત વિનતી કરે છે. શૈયાજી તથા સામગ્રીનો આ ભાવ વિચારવો. નિકુંજલીલામાં તમામ પ્રકારની સાહિત્ય-સામગ્રી, કુંજ-નિકુંજ, પશુ-પક્ષી, આદિ બધું જ દિવ્ય અને સ્વરૂપાત્મક છે.
No comments:
Post a Comment